બહાનાઓની વણજાર – ટીના ધીરાવાણી
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક ટીનાબેનનો (ડોંબીવલી, થાણે) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tina_dhiravani@yahoo.co.in અથવા આ નંબર પર +91 9920126438 સંપર્ક કરી શકો છો.]
બપોરે શાળાએથી આવતા વેંત જ સોહમ બોલી ઊઠ્યો : ‘શું વાત છે મમ્મી ? આજે આટલી જલ્દી રસોઈ થઈ ગઈ અને કપડાં પણ ધોવાઈ ગયા ? આપણે ક્યાંક બહાર જવાનું છે ?’
‘હા બેટા, આપણે બે દિવસ તારા નાનીને ત્યાં રોકાવા જઈએ છીએ. ચાલ જલ્દી જમીને ફટાફટ તારું લેસન પતાવી દે એટલે પછી આપણે જઈ શકાય.’
મમ્મીની વાત સાંભળીને સોહમનું મોં પડી ગયું. તેર વર્ષના સોહમનું નાનીને ત્યાં જવાનું જરાય મન નહોતું. પરંતુ મમ્મીને સમજાવે કોણ ? વળી, આજે તો લેસન પણ એટલું નહોતું આપ્યું. કલાકમાં તો બધું લેસન પતી જાય. હવે થાય શું ? મમ્મીને શું બહાનું બતાવવું ? – સોહમ બહાના વિચારવા લાગ્યો. થોડુંક વિચારીને એ બોલ્યો : ‘મમ્મી, લેસન કંઈ આટલું જલ્દી થાય ખરું ? જો હું બરાબર કરીને નહીં જઉં તો શાળામાં શિક્ષા થશે. તારી સાથે આવીશ તો કોચિંગના વર્ગમાં પણ નહીં જવાય અને પરીક્ષાઓ નજીક આવી રહી છે. રજાના દિવસોમાં સરસ તૈયારી કરી દઉં ને ? હું તો પપ્પાને દાદી પાસે રહીશ. તું જઈ આવ….’ એમ મીઠાશપૂર્વક કહીને સોહમે મમ્મીને મનાવી લીધી.
આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ધ્યાનપૂર્વક વિચારીશું તો ખ્યાલ આવશે કે સોહમની જેમ આપણેય ઘણી વખત બહાના બનાવતાં હોઈએ છીએ. ન ગમતી વસ્તુઓને ટાળવા, અરૂચિકર પ્રસંગોથી દૂર રહેવા કે અણગમતા વ્યક્તિને દૂર રાખવા માટે આપણે આ કળાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. વળી, આ કળા એવી છે કે તે કોઈને શીખવવી નથી પડતી. એને શીખવવાના કંઈ વર્ગો નથી ચાલતા ! નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તે સૌને સ્વયંસિદ્ધ હોય છે. વ્યક્તિ અભણ હોય કે વિદ્વાન, પોતપોતાની બુદ્ધિ અનુસાર સૌ કોઈ કોઈને કોઈ પ્રસંગે બહાના બનાવતા જ હોય છે. જેમ એક વાર મોબાઈલનો ઉપયોગ કર્યા પછી માણસને તેના વગર ચાલતું નથી, એવું બહાનાઓનું પણ છે. એકવાર બહાનું બતાવ્યા પછી જો ધાર્યું કામ પાર પડ્યું તો ખલાસ ! થોડાક સમયમાં તો માણસ બહાના બનાવાવાનો નિષ્ણાંત બની જાય છે !
‘બહાના’ શબ્દનો અર્થ પણ રસપ્રદ છે. બહાના એટલે અધૂરું સત્ય. એ નથી ખોટું કે નથી પૂર્ણ સત્ય. એ બંનેની વચ્ચેની સ્થિતિ છે. આ એક એવો માર્ગ છે કે જ્યાં માણસ પોતાના મનનું ધાર્યું કરાવવા માટે અર્ધસત્ય વાતને સત્યનો દરજ્જો આપી દે છે. પોતાના પક્ષમાં જ ફેંસલો આવે તે માટે એ વાતને એ રીતે રજૂ કરે છે જેથી સામેની વ્યક્તિ એને સત્ય માની લે છે. બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને તે પોતાની વાત બીજાના મનમાં બરાબર ઠસાવી દે છે. ટૂંકમાં કહીએ તો, બહાના એટલે યુધિષ્ઠિર જેવું ‘નરો વા કુંજરો વા’ – એટલે કે અશ્વત્થામા હણાયો પરંતુ એ હાથી છે કે માણસ એની ખબર નથી. આ કળા આટલી લોકપ્રિય થઈ એનું કારણ એક જ કે એનાથી ખોટું બોલાવાના પાપથી બચી જવાય અને પોતે જે ધાર્યું હોય એ કરી પણ શકાય !
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે માણસ બહાના શા માટે બનાવે છે ? બહાના બનાવવાથી વ્યક્તિને પોતાને મનગમતો માર્ગ મળી જાય છે. ક્યારેક તે પોતાની નબળાઈઓ કે અક્ષમતા છુપાવવા માટે પણ આ રસ્તો લે છે. જેમ કે શાળા કે કૉલેજમાં વકૃત્વસ્પર્ધા માટે કોઈ મિત્ર આપણે પ્રોત્સાહિત કરે પરંતુ આપણને તેમાં રસ ન હોય અથવા આપણને જાહેરમાં બોલવાનો ડર લાગતો હોય, મનમાં એમ થતું હોય કે લોકો શું કહેશે ? બોલતાં બોલતાં અટકી પડીશ તો શું થશે ? મને બરાબર નહીં ફાવે તો ? – એટલે સ્વાભાવિક જ આપણે બહાનું બનાવી દઈએ છીએ કે મારે બહારગામ જવાનું છે અથવા તો મારે ઘરમાં કોઈ પ્રસંગ છે કે પછી મારે પરીક્ષાની તૈયારી કરવાની છે વગેરે વગેરે. નકારાત્મક અભિગમતાની અસર નીચે આપણે કોઈને કોઈ છટકબારી શોધવા મજબૂર બનીએ છીએ અને પરિણામે બહાના બનાવવાની જરૂર ઊભી થાય છે. પરિસ્થિતિથી ભાગી જવાનો માર્ગ આપણને વધારે શ્રેયસ્કર લાગે છે.
બહાનાઓનો ઉપયોગ ઘણીવાર લાગણી છુપાવાવા માટે પણ થાય છે. માની લો કે બે બહેનપણીઓમાં એકના લગ્ન થઈ ગયા હોય અને લગ્નબાદ એ જ્યારે પિયર આવે ત્યારે પોતાની સખીને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પરંતુ બીજી સખી બહાનું કાઢીને મળવાનું વાત ટાળી દે છે. કેમ ? કારણ સીધું સાદું છે. પહેલી સખી જો અવારનવાર એને મળે અને વારંવાર એના સાસરાપક્ષની ચર્ચા કરે એટલે અપરિણિત વ્યક્તિને સ્વાભાવિક લઘુતાગ્રંથી બંધાતી જાય છે. જેન લગ્નમાં વિલંબ થતો હોય એવી વ્યક્તિ પરણિત વ્યક્તિને મળવાનું મોટે ભાગે ટાળે છે. કદાચ એ સખી જો રસ્તામાં મળી જાય તો એના સાસરિયાના ગુણગાન એ સાંભળી લે છે, પણ મનમાં તો લાગણીઓનું ઘોડાપૂર ઊમટ્યા વગર રહેતું નથી. પરિણામે, ફરીવાર તે પોતાની ખાસ બહેનપણી હોય તો પણ કોઈક બહાનું બનાવીને પોતે ઘરે નથી એમ કહી દે છે.
જેને જૂઠું જ બોલવાનો સ્વભાવ હોય એની માટે તો બહાના સર્વોત્તમ ચીજ છે. ‘મુખ મે રામ, બગલ મેં છૂરી’ જેવા લોકો માટે બહાનાંઓ જાણે બ્રહ્માસ્ત્ર પુરવાર થાય છે. એવા લોકો એના દ્વારા સમાજમાં પોતાનું માન પણ જાળવી લેવાની કોશિશ કરે છે અને પોતાને ઘસાવું ન પડે એનુંય ધ્યાન રાખે છે.
વિભક્ત કુટુંબની સંકલ્પના હવે નવી નથી રહી. માતાપિતા, ભાઈ-બહેન અને બાળકોથી હર્યુંભર્યું સંયુક્ત કુટુંબ હવે ફક્ત વાર્તાઓ અને ટીવી સીરિયલો પૂરતું સીમિત દેખાય છે. માતા-પિતાથી દૂર રહેનાર દીકરો અને વહુ તેમની હાલચાલ પૂછવા જેટલી લાગણી પણ દર્શાવતા નથી. ક્યારેક તો સામાજિક પ્રસંગોમાં ભેગા મળે તો ‘કેમ છો ?’ કહીને દુનિયાદારીની ફરજ નિભાવી લેતાં હોય છે. પિતાની તબિયત ખરાબ છે એવા સમાચાર જો કોઈ સ્નેહીજન દ્વારા મળે ત્યારે ઉપર છલ્લી લાગણી દર્શાવતા પોતાની માતાને કહે છે ‘પપ્પાની તબિયત ખરાબ હતી તો અમને તરત જણાવ્યું કેમ નહીં ?’ આ પ્રકારના દંભી વ્યક્તિને જ્યારે ખરેખર માતાપિતાની સેવામાં ઉપસ્થિત થવાનું થાય ત્યારે એમના મુખે બહાનાંઓની વણજાર લાગી જાય છે – પત્નીની તબિયત ખરાબ છે, ઑફિસમાં રજા જ નથી, બાળકો બિમાર છે વગેરે વગેરે. આ રીતે વ્યક્તિ પોતે કેટલો સજ્જન અને સભ્ય છે તે દેખાડવા મથે છે. પણ દંભ ક્યાં સુધી છૂપો રહી શકવાનો ? મધ જેવી મીઠી વાણી હોય અને વાત્સલ્યનો ભરપૂર દેખાડો હોય પરંતુ હૃદયનો ભાવ કંઈ અલગ હોય ત્યારે માણસને બહાનાંઓની જરૂર પડે છે.
જીવનમાં ક્યારેક આપણે બહાનાં તો બનાવતાં જ હોઈએ છીએ પરંતુ અંતરના ઊંડાણમાં ઊતરીને આપણે એ જોવાનું છે કે તે બહાનાં આપણે કેવા કારણોસર બનાવીએ છીએ. શું તે આપણી લાગણીઓને છુપાવવા, ડર ને સંતાડવા કે કપટથી ઢાંકપીછોડો કરવા માટે બનાવીએ છીએ ? નક્કી આપણે કરવાનું છે.
Categories: નિબંધ
જ્યારે સત્ય બોલવાની હિમંત ના હોય ત્યારે બહાના ની મદદ લોકો લેતા હોય છે. સ્વાભાવિક છે કે આજ ના યુગ મા વ્યક્તી પાસે સમય નો અભાવ હોઈ શકે અથવા તેના અંગત પ્રશ્નો હોઈ શકે પરંતુ દરેક બાબતો મા માત્ર દંભ નો સહારો લેવો એ પોતાના આત્મા ને છેતરવવા બરાબર છે શક્ય હોય તો દરેકે વ્યક્તી એ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવાનો પ્રયત્ન કરવો જોઈએ નહી કે બહાનાબાજી કરીને છટકવાનો.
ઉપરોક્ત લેખ દ્વારા બેન શ્રી ટીનાબેને આજની નરી વસ્ત્વિક્તાનો પરિચય આપ્યો છે અને જે તદ્દન સત્ય છે.કડવુ પણ સત્ય “બહાના ની વણજાર” લેખ દ્વારા સમજાવવા બદલ બેન શ્રી નો ખુબ આભાર
નિતિન પટેલ
ગામ વડગામ થી
by Nitin on Feb 6, 2010 at 8:34 am
આંતરમનનો રોજે રોજ ખેલાતો ખેલ સરસ રીતે અભીવ્યક્ત કર્યો છે.
by અતુલ જાની (આગંતુક) on Feb 6, 2010 at 10:31 am
એક અણગમતો અથવા અકળાવ્તો સવાલઃ મોબાઇલ પર ફોન કર્યા પછી તુ ક્યાં છો?
અને કોઇ ઘરે ફોન કરે પછી એ જ સવાલ પૂછે.
કોઇ નિયત સમયે/સ્થળે મળવા માટે આપણે પહેલા પહોંચી જઇએ અને અડધા કલાક રાહ જોયા પછી મિત્રને ફોન કરીને પૂછીએ – ક્યાં પહોચ્યો? જવાબઃ ટ્રેન ઊભી રહી ગઇ છે. અને પછી સામે સવાલ થાયઃ તુ ક્યા પહોંચ્યો?
સાચુ ટાળવુ અને ઘણી વખત નકામા સવાલ ટાળવા બહાના કાઢે છે.
મારા મમ્મી મને કહે છે – મોબાઇલ આવ્યા પછી લોકો બહુ ખોટુ બોલતા થયા છે.
વાત એમ નથી – આપણે જુટ્ઠા છીએ અને મોબાઇલ એને અભિવ્યક્તિ આપે છે
by કલ્પેશ on Feb 6, 2010 at 8:04 pm
સરસ લેખ્. માણસના મનનો તાગ્.
by Veena Dave, USA on Feb 6, 2010 at 10:17 pm
બહાના જેવા રોજબરોજના દુરાચરણ પર સુંદર અધ્યયન.
બહાના એટલે નર્યો પલાયનવાદ.
બહાનાબાજી એટલે જવાબદારીમાંથી આબાદ છટકવા સુંદર શબ્દોનાં વાઘાં પહેરાવાની કળા.
બહાનાબાજી જેવી મહાન કળા(!) આત્મસાત કરવા બેશરમ…નફ્ફટ….હાજરજવાબી….અને કઈંક અંશે
ગુનાહિત માનસિકતા જેવા મહાન દુર્ગુણો(!) ગ્રહણ કરવા પડે…!!!!
એક જૂઠ સો જૂઠ બોલાવે.
શ્રેષ્ઠ….શક્ય હોય ત્યાં સુધી અસત્યનો સહારો ટાળવો.
by જય પટેલ on Feb 7, 2010 at 2:58 am
અકારણસર શા માટે અસત્ય બોલવું????
પણ…….ઘણીવાર એવું પણ લાગે કે લોકો ને ગમતું અસત્ય સાંભળવાની પણ આદત પડી ગઈ છે.
અસત્ય નો સહારો લેવાયો છે તેની બંને પક્ષો ને ખબર હોય ને છતાં પણ બંને પક્ષ તેનાંથી રાજી હોય તેવું બનતું બહું જોવા મળે છે. સબંધોમાં, સમાજમાં, સરકારમાં, ન્યાયાલયમાં, કચેરીઓમાં બધે જ આ જોવા મળે છે.
સત્ય ત્યારે મુરઝાતું / મુંઝાતુ હોય છે.
by જગત દવે on Feb 7, 2010 at 11:32 am
Nice article. Good topic. I feel , at times, Pretexts can be harmless and As Gandhijee had said about speaking false for good cause is justified, same way, if pretext does not harm anybody and is used for a good cause, it is OK.
Good article by Tina Dhirwani. Congratulations!
by Vikas Nayak on Feb 7, 2010 at 6:02 pm
સુંદર વાત.
પહેલા આપણે આપણી જાતને છેતરીએ છીએ એ અહેસાસ થઇ જાય તો કદાચ બીજા કોઇને છેતરતા પહેલાં આપણે સો વાર વિચારીશું
by Hiral Vyas "Vasantiful" on Feb 8, 2010 at 10:21 am
આશ્વાસન આપવા અને તેના માટે વપરાયેલ મલમ, આમ માનવ નુ શસ્સ્ત્
by mayur joshi on Feb 8, 2010 at 4:44 pm
KHUBAJ SARAS TINA DIDI BAU SARAS LAKHYU CHE…
MANE PAN GANU PROTSAAHAN MALYU AA LEKH VAAACHI NE..
THANKS ..DIDI..
tamaaro orkut friend
nikhil vyas
by NIKHIL VYAS on Feb 11, 2010 at 2:10 pm